આઇ સોનલ – મયુર.સિધ્ધપુરા (જામનગર)

સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ધરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇ માં નો જન્મ થયો.પુજ્ય આઇમાં એ જન્મ ધારણ કરીને પોતાના તુંબેલ કુળને,મોડવંશને, ચારણ જાતીને તેમજ સમાજના સર્વે વર્ગો જાતીને પવિત્ર કર્યા અને ઉજ્જવળતા શુધ્ધતા આપી.એમના જન્મથી આઇ રાણબાઇ ધન્ય બન્યા તથા આઇમા શ્રી સોનબાઇની જન્મદાત્રી માતાનું મહાન યશસ્વી પદ પામ્યા.પુજ્ય આઇમાંએ સમાજમાંથી પાપ,વહેમ,હિંસા,અનાચાર,અજ્ઞાન,વેર,કુસંપ દુર કરીને પુણ્ય, અહિંસા, આચાર, જ્ઞાન, શિક્ષણ, ક્ન્યા કેળવણી, ભણતર, સંપ, એકતા, દાન, યજ્ઞ, સેવા, પુજા, ધ્યાન, ભકતિ,પરોપકારની ગંગા-જમુના પ્રવાહિત કરીને સૌને ઉન્નતીના પંથે દોર્યા.જીવન કર્તવ્યને અવતાર કાર્યને યોગ્ય રીતે દિપાવીને અનંત જ્ઞાન અને સુખના મહાસાગર એવા જગદંબા આદિ શકતિ પરાઅંબા સાથે ઐક્ય સાધ્યુ,એ દિવ્ય અનંત ચેતનામાં લીન થયાં એમાં સમાય ગયાં.
આઇ શ્રી સોનબાઇમાં ગીયડ સરકડીયા નેશવાળાએ સોળ વર્ષ પેહલા સંવત ૧૯૬૪ માં આપેલ આશીર્વાદની વાત હમીરબાપુને બરાબર યાદ હતી. આઇ સોનબાઇમાં ગીયડે એ વખતે કહેલુ કે “હમીર ! બેટા ! તે મારી ખુબ સેવા કરી છે.હું તારા ઉપર પ્રસન્ન છું અને તારે મારી નિશાની સંભારણું જોઇએ છે ને તો તારે ઘેર પાંચમી દિકરી આવે તેને મારુ નામ આપજે એ ખુબ પ્રતાપી થાશે એને મારી જીવતી જાગતી નીશાની મારુ સંભારણુ માનજે. સમ્જયો ને !” એટલે પોતાને ત્યાં જન્મેલા આ પાંચમી પુત્રી તે આઇ સોનલમાં ગીયડના આશીર્વાદ રૂપ છે, એમ માની હમીરબાપુએ તેમનું નામ ‘આઇ સોનલ’ રાખવાનુ મનોમન નક્કી કર્યુ અને પુત્રી જન્મને પુત્ર જન્મ સમાન માન્યો.સુપડાને બદલે થાળી વગાડવામાં આવી.મીઠાઇ અને સાકર વેંહચી. છઠ્ઠીના દિવસે ગરીબ ગુરબા, સાધુ-સંતો અને કુટુંબીજનો ને મિષ્ટાન ભોજન કરાવ્યુ અને ઉત્સવ ઉજવ્યો. નામકરણ પરીપાટી પ્રમાણે જન્મ સમયે ચંદ્રમાં મકર રાશીમાં હોવાથી ‘ખ’ અને ‘જ’ મકર રાશી આવી પરંતુ આઇ સોનબાઇ ગીયડ સરક્ડીયાવાળાને આપેલ વચમ પ્રમાણે પારણામાંથી પુત્રીનુ નામ ‘આઇ સોનલ’ રાખયુ. આઇમાં ખુબ રુપાળા,દેખાવડા તો જન્મથી હતા જ સાથે સાથે સમજણા થતા બુધ્ધી પ્રગટી અને જન્મજાત મનસ્વી હતાં, પોતાનુ ધાર્યુ કરનારા હતા એટલે એમની બુધ્ધીની ચમક અને મનસ્વીતાથી સૌ કોઇને વ્હાલા લાગે સૌ કોઇ હેત પ્રેમ કરે.હમીરબાપુને તો એમના પર અત્યંત પ્રેમ અને આઇ સોનબાઇ ગીયડનો અવતાર છે એમ માને.
સં ૨૦૧૦ માં આઇમાંએ ચોથી વખત હરીદ્રારની યાત્રા પુર્ણ કરી. વૈશાખ સુદ ત્રીજના દિવસે મઢડામાં અખિલ ભારતીય ચારણ સમાજનું અધિવેશન ભર્યુ અને એમા જ્ઞાતી ગંગાના સાડાત્રણ પહાડા બધાજ પ્રવાહોને આવી મળવા જાતે આમંત્રણ આપ્યુ.આખા જગતમાંથી આવેલ ચારણોને આઇમાં એ ચેતવ્યા કે, “ચારણો દેવ હતા, આપણામાં ખોટા લક્ષણો આવી ગયા છે.માતાજીનું ભજન કરતા કરતા આપણે ગીતા, રામાયણ, હરીરસ ભણવા જોઇએ. ચારણની બેન દિકરીયો કદી માંગે નહી.ચારણોથી ક્ન્યાના પૈસા લેવાય નહિ, ચારણો પુરુષાર્થ કરે. પુરુષાર્થ વિના ઉધાર નથી.પુરુષાર્થ જ પરચો છે અને દેવ છે. સાચો ચારણ નમાલો ન બને.” આ રીતે સમસ્ત ચારણ સમાજ એક થાય એ માટે એમણે અણથડ વિચરણ કરવા માંડયુ. સં ૨૦૧૧ માં ઝાલાવાડ અને હાલારમાં પધાર્યા,લીંબડી, ઝાંબડી, ધાંગધ્રા, મૂળી અને રાજથળી-જામનગરની ધરતીને પાવન કરી.ત્યાંથી અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં વિચરણ કર્યુ.સં ૨૦૧૨ માં સમગ્ર કચ્છનો પ્રવાસ કર્યો અને કચ્છી માડુઓને માએ ભાવથી ભીંજવી દીધા.સં ૨૦૧૩ માં ફરી વાગડ કચ્છ, ચોરાડ અને વઢિયારનો પ્રવાસ કર્યો.ત્યાંથી ધાણધારના ચારણ સમાજને પ્રસાદિત કર્યો.આ પછીતો આઇમાં પગવાળીને ક્યારેય બેઠાં જ નથી.ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનું એક એક ગામ આઇમાં ના ચરણા વિંદથી પાવન બન્યુ.ચારણ સમાજમાં ઘર કરી ગયેલ જડ રીતીરિવાજો અને રૂઢીઓ અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ, અજ્ઞાનતા અને અભણતા, વાડાબંધી અને ગોળબંધી, ખોટા ક્રિયાકાંડ અને વ્યર્થ કર્મકાંડ, કન્યા કેળવણી અને કન્યા ભણતર, જીવનની સાત્વિકતા અને ચારિત્રશીલતા, ઇશ્વરની આસ્થા અને શકતિની શ્રધ્ધા, આલોકનુ સુખ અને પરલોકની શાંતિ જેવી અનેકવિધ બાબતોને આઇમાંએ એમના વિચારમાં વણી લીધી અને સમાજને તેની સરળ અને સાદી રીતે સમજણ આપવા માંડી.
આઇ સોનલમાં ના સ્વરૂપમાં ચારણોને અધમઉદ્રારક શક્તિના દર્શન થયા.આઇમાંના આંગણે બધાને પરમ સુખ અને શાંતિની અનુભુતી થવા માંડી.ડુંગરા જેવા દુઃખ આઇમાં ના આશરે અલોપ થવા માંડ્યા.આઇમાની અમીનજર દુનીયા આખીને સહારો સધિયારો આપવા માંડી.
કેહવાય છે કે આલોકમાં જેની જરૂર હોય એની પરમાત્માને પરમલોકમાંય જરૂર હોય છે.સ્વર્ગમાં સતીત્વ અને શક્તિત્વની ખોટ પડી હશે અને પરમાત્માને એનુ સુરપુર જગદંબાના આત્મતત્વથી ઉજળુ બનાવવું પડશે એથી ઇશ્વરે જગત માથે વિચરતા આઇ તત્વને પોતાની પાસે બોલાવી લેવાનાં અણસાર આવવા માંડ્યા. સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમજ્યોત એ પરામ્બાંમા સમાઇ જવાના પ્રમાણો આપવા માંડી.રામ અને કુષ્ણએ પણ માનવ સહજ નિવાર્ણ સ્વીકાર્યુ હતું.એમ જગત આખાના દુઃખને પળવારમાં દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આઇશ્રી સોનલમાંએ પણ મહાનિર્વાણ માટે પોતાનાં પંડમા માંદગીને મુંગો આવકાર આપ્યો.હાલતા-ચાલતા, હસતા-બોલતા અને વાતો કરતા આઇમાએ માંદગીને કળવા પણ ન દીધી.માંદગી આઇમાના મહાવિરામનું નિમીત બનીને આવી. સં ૨૦૩૧ અને કારતક સુદ-૧૩ તેરસનો સુરજ ચારણ સમાજ અને જગત આખા માટે કાળો મેશ અંધાર લઇને ઉગ્યો. આ કારમાં દિવસે આઇમાએ જીવનલીલા સહજ રીતે સંકેલી લીધી અને આઇમાં એ અવિનાશી આદિશક્તિ અંબામાં અંતર્ધયાન થઇ ગયા. આઇ તત્વ મહાશક્તિમાં વિલીન થઇ ગયુ. જય માતાજી.
પ્રેષિત- સંકલનઃ
મયુર.સિધ્ધપુરા – જામનગર